Corona Vaccine ને મંજૂરી મળતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, કહ્યું-ટ્રાયલ પૂરી થતા પહેલા ઉપયોગ કરવો ખતરનાક

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.

Corona Vaccine ને મંજૂરી મળતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, કહ્યું-ટ્રાયલ પૂરી થતા પહેલા ઉપયોગ કરવો ખતરનાક

નવી દિલ્હી: ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) દ્વારા કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી મળ્યા બાદ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે ટ્વીટ કરીને કહ્યું કે સ્વદેશી રસી કોવેક્સીનના ઉપયોગને મંજૂરી આપવી ખતરનાક બની શકે છે. 

ટ્રાયલ પૂરી થતા પહેલા કેવી રીતે મળી મંજૂરી-શશિ થરુર
શશિ થરુરે પોતાની ટ્વીટમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનને ટેગ કર્યા અને કહ્યું કે કોરોના રસી પર કૃપા કરીને સ્પષ્ટીકરણ આપો. તેમણે લખ્યું કે 'કોવેક્સીનનું હજુ સુધી ત્રીજા તબક્કાનું પરીક્ષણ થયું નથી. સમય કરતા પહેલા મંજૂરી આપવી ખતરનાક બની શકે છે. ડો.હર્ષવર્ધન તમારે સ્પષ્ટતા કરવી જોઈએ. પરીક્ષણ પૂરું થાય ત્યાં સુધી તેના ઉપયોગથી બચવું જોઈએ. ભારતમાં આ દરમિયાન એસ્ટ્રાજેનેકા રસીનો ઉપયોગ થઈ શકે છે. '

— Shashi Tharoor (@ShashiTharoor) January 3, 2021

2 રસીને મળી ઉમરજન્સી ઉપયોગની મંજૂરી
કોરોના રસીને લઈને બનાવવામાં આવેલી એક્સપ્રટ કમિટીએ વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીના રોજ કોવિશીલ્ડ અને બીજા દિવસે કોવેક્સીનને મંજૂરી આપી હતી. હવે આજે  DCGI એ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની 'કોવિશીલ્ડ' અને ભારત બાયોટેકની 'કોવેક્સીન'ના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. DCGIએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોવિશીલ્ડ(Covishield) અને કોવેક્સીન (Covaxin)ના ઈમરજન્સી ઉપયોગની અધિકૃત જાહેરાત કરી. ઉપરાંત ઝાયડસ કેડિલાની રસી ઝાઈકોવ-ડીના ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ માટે પણ મંજૂરી મળી ગઈ છે. DCGIના જણાવ્યાં મુજબ રસીના અત્યાર સુધીના તમામ ટ્રાયલ સુરક્ષિત રહ્યા છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને આજનો દિવસ ભારતીયો માટે ગર્વનો દિવસ ગણાવ્યો. 

કોવેક્સીન છે સંપૂર્ણ દેશી રસી
અત્રે જણાવવાનું કે કોવેક્સીન સંપૂર્ણ રીતે સ્વદેશી રસી છે અને તેને ભારત બાયોટેકે બનાવેલી છે. આ રસી હૈદરાબાદની લેબમાં તૈયાર થઈ છે. જ્યારે કોવિશીલ્ડને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે અને ભારતમાં તેનું નિર્માણ કાર્ય સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા થઈ રહ્યું છે. 

રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત
DCGIએ કહ્યું કે બંને રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ઈમરજન્સીની સ્થિતિમાં થઈ શકશે. DCGIના જણાવ્યાં મુજબ આ બંને રસીના 2-2 ડોઝ ઈન્જેક્શન સ્વરૂપે આપવામાં આવશે. આ બંને રસીને 2થી 8 ડિગ્રીના તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે. તેમણે કહ્યું કે અમે એવી કોઈ ચીજને મંજૂરી નહીં આપીએ, જેમાં સુરક્ષા અંગે થોડી પણ ચિંતા હોય. બંને રસી 110 ટકા સુરક્ષિત છે. કોઈ પણ રસીની થોડી ઘણી આડઅસર હોય છે. જેમ કે દુખાવો, તાવ, એલર્જી થવી. અત્રે જણાવવાનું કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) જ્યારે કોઈ દવા, ડ્રગ, રસીને અંતિમ મંજૂરી આપે છે ત્યારે તે દવાઓ, રસીનો સાર્વજનિક રીતે ઉપયોગ થઈ શકે છે. આવી મંજૂરી આપતા પહેલા DCGI રસી અંગે કરાયેલા પરીક્ષણોના આંકડાનો કડકાઈથી અભ્યાસ કરે છે. જ્યારે DCGI આ રિપોર્ટથી સંતુષ્ટ થાય ત્યારે તે રસીના સાર્વજનિક ઉપયોગ માટે મંજૂરી આપે છે. 

નપુંસક થવાની વાત બકવાસ-DCGI ડાઈરેક્ટર
DCGIના ડાઈરેક્ટર વીજે સોમાણી(VG Somani) એ કહ્યું કે, 'અમે એવી કોઈ ચીજને મંજૂરી નહીં આપીએ, જેમાં સુરક્ષાને લઈને થોડી પણ ચિંતા હોય. રસી 110 ટકા સુરક્ષિત છે.  કોઈ પણ રસીની થોડી ઘણી આડઅસર હોઈ શકે છે, જેમ કે દુ:ખાવો, એલર્જી થવી.' આ સાથે જ તેમણે રસીના ઉપયોગથી નપુસંક થવાના સવાલ પર કહ્યું કે આ સંપૂર્ણ રીતે બકવાસ છે. 

શક્ય છે કે રસી નપુંસક બનાવી દે-સપા વિધાયક
અત્રે જણાવવાનું કે સપા એમએલસી આશુતોષ સિન્હાએ કોરોના રસી અંગે કહ્યું હતું કે કોવિડ-19ની રસીમાં કઈંક તો એવું છે કે જે લોકોને નુકસાન પહોંચાડી શકે છે. બની શકે કે લોકો બાદમાં કહી દે કે રસી જનસંખ્યા ઓછી કરવા માટે અપાઈ છે. કઈ પણ થઈ શકે છે. એ પણ શક્ય છે કે આ રસી લગાવ્યા બાદ લોકો નપુંસક થઈ જાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news